આખત્રીજ ડાંગી આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. અખાત્રીજ વર્ષનો અંતમાં
આવતો તહેવાર છે જેને સ્થાનિક આદિવાસીઓ છેલ્લો તહેવાર પણ કહે છે અખાત્રીજ પછી
તેરાની શરૂઆત થાય છે. વર્ષોથી જંગલ સાથે જોડાયેલા આદિવાસી લોકો કુદરતને પોતાનો
ગણીને તેની સામે ભાવના વ્યક્ત કરે છે જે સામાન્ય માણસના સમજણની બહાર છે. વર્ષમાં
ઘણાં બધા અનોખા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાંથી આ એક અખાત્રીજ નો તહેવાર
છે.આદિવાસીઓનો ખેતી સાથે મુખ્ય નાતો રહ્યો છે ખેતીમાં કયો પાક વધુ સારો પાકસે તેની
ખાત્રી અખાત્રીજથી કરવામાં આવે છે.વૈશાખ સુદ ત્રીજના દિવસે અખાત્રીજ ના તહેવારની
ઉજવણી થાય છે. આ દિવસે ખાસ ડાંગી આદિવાસીઓ
પોતાના પૂર્વજોને યાદ કરીને તેમના નામે ચૂલામાં અગારી પાડે છે,જે પૂર્વજોનું દેવપૂજન કહી સકાય. અખાત્રીજને પૂર્વજોના પૂજનનો તહેવાર
પણ કહેવામાં આવે છે.
(ચુલામા પાડેલ અખાત્રીજ)
|
અખાત્રીજના આઠ દિવસ
પહેલા ગવરાઈ(ગૌરાઈ) પૂજન કરવામાં આવે છે. ગવરાઈ પૂજન એટલે કે વાંસની ટોપલી લઈ
(જેને ડાંગી ભાષામાં સેનુગલી કહેવામાં આવે છે) તેમાં માટી નાખી પાંચ જાતનાં
ધાન્ય-મકાઈ,નાગલી,અડદ,ભાત,જુવારની વાવણી કરવામાં આવે છે. ગવરાઈ પૂજતી વખતે સ્ત્રીઓ ગવરાઈ પૂજન
નું ગીત ગાય છે. ગવરાઈ ને ઘરના ખુણામાં ઝીલાથી(વાસમાંથી બનાવેલ ટોપલો) ઢાંકી
દેવામાં આવે છે. દર દિવસે નવા પાનીથી(સવારે કૂવેથી
કે નદીમાંથી લાવેલ પીવાનું ચોખ્ખું પાણી) ગવરાઈ નું સિંચન કરવામાં આવે છે. ગવરાઈ
ઉગાડવાનું કારણ ધાન્ય જેમ ઉગે છે તેના પરથી ખેતીના પાકનો અંદાજો લગાવી સકાય છે.
ગવરાઈ સારી(જાડી પાંદડા વાળી) ઉગશે તો ખેતીમાં પાક સારો આવશે. અને ગવરાઈ સારી ના
થઈ તો ખેતીનો પાક સારી આવશે નહીં. ખેતરોમાં વાવવા માટેના બીજની પરીક્ષા કહી શકાય.
વર્ષો પહેલા ગવરાઈ જોઈને જ વડીલો ખેતીના પાકનો અંદાજો લગાવી લેતા અને અખાત્રીજના
બીજા જ દિવસે ખેતરમાં પાકની વાવણી કરી દેતા હતા.
આઠ દિવસ પછી જાગલે
(ગામનો સંદેશાવાહક) ગામમાં બુમ પાડીને અખાત્રીજના શન ની
જાહેરાત કરે છે. શન,કર કે કોઈપણ તહેવારના
દિવસે ડાંગી આદિવાસીઓ પોત પોતાનું કામ, ખેતરનું કામ બંધ રાખે
છે. સવારના પહોરમાં ગવરાઈ ના અમુક પાંદડા તોડીને તેને પૂજા માટે લઇ જવાના હોય છે.
ગવરાઈ,તાબેમાં (લોટો) નવા પાની અને નારિયેળને લઈને
મંદિરે જઈ તેનું પૂજન કરવામાં આવે છે. હનુમાનજીનું મંદિર તથા હોળી પ્રગટાવવામાં
આવે છે તે જગ્યાએ આવેલ રતીની દગડ(પથ્થર) પાસે પૂજન કરવામાં આવે છે. પૂજામાં
વધી ગયેલ નવા પાની ને ઘરે આવીને તેનો ઘરમાં છાંટવામાં આવે છે.ઘરે સયપાક(જમવાનું
ભોજન) બનાવ્યાં પછી ચૂલામાં રાન ગવરે( જંગલના છાણા)થી ચૂલો સળગાવવામાં આવે છે.
રિવાજ પ્રમાણે સૌ પ્રથમ દારૂની અગારી(ચૂલામાં દારૂનો છટકાવ) પાડવામાં આવે છે.
અગારી પાડતી વખતે ખાસ નદીનાં માછલાં જરૂરી હોય છે જેને ચૂલામાં નાખવામાં આવે છે.
ઘરની પરિસ્થિતિ અનુસાર બનાવેલ સયપાકથી ચૂલામાં અગારી પાડવામાં આવે છે. કુટુંબ કે
ઘરનો વડીલ વ્યક્તી અગારી પાડવાનું કામ કરે છે. સૌ પ્રથમ પુરુષો સ્વર્ગવાસ થઈ ગયેલા
પૂર્વજોના નામ લઇને ચૂલામાં તેમના નામની અગારી પાડવામાં આવે છે ત્યાર પછી સ્ત્રીઓ
અને બાળકોના નામ લઇ ચૂલામાં અગારી પાડવામાં આવે છે. અગારી પાડ્યા પછી દેવ પૂજન
કરવામાં આવે છે. સૌ પ્રથમ ચુલાનું પૂજન કરવામાં આવે છે. પોળસના
પાનમાં( કેસૂડાના પાંદડા) સયપાક લઇ તેને ચૂલા પાસે મુકવામાં આવે છે.ત્યાર પછી ઘરની
બહાર ભુતીયા દેવ,મુંગાનું નામના વગેરે(એક જાતનું કીટક
તેનાથી રક્ષણ મેળવવા માટે) દેવ પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ સૌ લોકો સાથે મળીને
ભોજન ગ્રહણ કરે છે.
(બોના) |
બીજા દિવસે ગવરાઈ ને ગામના પાણી પીવાની જગ્યા કુવા કે નદીમાં લઈ
જવાની હોય છે જે માત્ર બહેનો જ લઈ જઈ શકે છે. સાંજના પાંચ વાગ્યાના સમયે ગવરાઈમાં
કોડી ના બે દાંડીયા તથા સાથે નાગલીના રોટલાં, સાકર
કે ગોળ,અને માછલી મૂકીને ગામની પાણી પીવાની જગ્યાએ જાય છે. ગામની બહેનો ગીતો
ગાતાં ગાતાં ગવરાઈ ને લઇ જાય છે તેમની સાથે નાનાં બાળકો પણ ગવરાઈના પાંદડા ને
કાનમાં મુકુને નાચતાં કૂદતાં તેમની સાથે જાય છે. કૂવે ગયા પછી ત્યાં ગીતો ગાતાં
ગાતાં કુવા ફરતે પાંચ કાવા(ગોળ ફરવું) ફરીને ગવરાઈને કુવા પાસે મૂકી દેવામાં આવે
છે. ત્યારપછી જે રોટલા લઇ ગયાં હોય તેને ભેગાં કરી સૌ કુવા પાસે જ રોટલા વહેંચીને ખાઈ ખાય છે.
(નાનાં બાળકો અખાત્રીજને માથે પહેરે છે) |
ડાંગી આદિવાસીઓ અખાત્રીજ માં ગવરાઈ થી
ખેતીના પાકનો અંદાજો કાઢે છે.સાથે અખાત્રીજ એ વડીલોને શ્રાદ્ધ વિધી અર્પણ નો
તહેવાર પણ કહી સકાય. અખાત્રીજ ના દિવસે વડીલોને યાદ કરી તેમના નામની અગારી
પાડવામાં આવે છે.
(વેવ્સ ગુર્જરવાણી ગૃપના વિઘ્યાથીઓ
દ્વારા અખાત્રીજના તહેવાર પર ત્યાર કરેલ ડોક્યુમે્ટરી ની લીંન્ક)
https://youtu.be/41ZbS0bjwBM
માહીતી સોર્સ : હીરાભાઈ મહાલા (લહાન માંળુગા)